ગઢપુર મા જળઝીલણી એકાદશી ના દિવસે દાદાખાચરે પીપળાના ઝાડ વાળા મારગ ને સુમાબાઇ ની વોંકળીની વચાળે થોરની વાડ્ય હતી ઇ ઓરીયાની જમીનનો લેખ શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ શ્રીજીમહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિ જરીયાની જામોને સુરવાળ વગેરે પહેરીને માણકીએ થયા ને ઠાકોરજીને પાલખીમા પધરાવ્યાને સહુ સંતો ભક્તો ને હથિયારબંધ પાળાઓ સાથે ખોપાળાના માર્ગે વાજતે ગાજતે ધૂન્ય-કિરતન કરતા કરતા પધાર્યા. ત્યાં ઘેલામા પરમહંસના ઓટાની નાવાની જગ્યા છે ત્યાં મોટા પત્થરની ઉપર ઠાકોરજીને પધરાવ્યાને ઘેલાના નિર્મળ નિરથી ઝીલાવ્યા. ઠાકોરજીને નવા વાઘા ધારણ કરાવ્યા ને પાંચ આરતિ કરી.

પોતે સર્વે જરીયાની વસ્ત્રો ઉતારી ને કછોટો વાળી ને ઘેલામા ધૂબકા મારીને નહાયા. સૌ હરિભક્તો સાથે ખુબ જળકૃીડા કરીને સૌએ હેતે શ્રીહરીને નવરાવ્યા. સંતો ભક્તોએ પણ આ દિવ્ય લાભ લીધો. ઘેલા ના જળ મા ઉભા થકા જ તાળી વઝાડીને સૌને શ્રીહરિ એ ધૂન કરાવી. નાહીને બહાર નીસરી એક સફેદ જીણી ધોતી પહેરી ને એક રેશમી ઓઢી, માથે સફેદ ધોતી ની પાઘ બાંધી. સદગુરુ મુકતાનંદ સ્વામીએ મહારાજને ઠાકોરજીની પાલખી પાસે પત્થર ઉપર આસન પાથરી ને બેસારયા ને કપાળે ચંદન ચર્ચ્યું ને કંઠ થી ચરણારવિંદ સુધી લાંબો ને મોટો એવો મોગરાના પુષ્પનો હાર પહેરાવ્યો. ત્યાં ઘેલાના કાઠા મા નિર્મળ રેતીમાં સભા થઇ એટલે સદગુરુ મુકતાનંદ સ્વામીએ પોતાના સુમધુર કંઠે કિરતન ગાયું કે…,

મુકતાનંદ કહે મોહે ઔર કી જો પૃતિત હોયે..!
જાનીયો અધિક નિચ શ્વપચ લબાડ સે..!!
છાંડી કે શ્રીકૃષ્ણદેવ ઔર કી જો કંરુ સેવ..

ત્યાં ચંદન પુષ્પની વૃષ્ટિ થઇ, શ્રીજીમહારાજે પોતાના જરીયાની વસ્ત્રો દાદાખાચર ને આપ્યા ને પોતાના કંઠથી મોગરાનો હાર ઉતારીને બેવડો કરીને દાદાખાચર ને પહેવરાવ્યો. દાદાખાચર નુ કાંડું જાલીને સર્વ સભાજન પૃત્યે શ્રીહરિ બોલ્યા કે.. ગઢપુરના ધણી એભલખાચરે દાદાનું કાંડું અમને સોંપ્યું છે એટલે એ દિવસથી તમે અમારા પુત્ર છો. અમે તમારા પિતાની જગ્યાએ છીએ. આ સારુ જ દાદાએ પોતાની એ જમીન શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ અર્પણ કરી છે. એ જમીન મા આપડે સૌ ધૂન્ય કિરતન કરતા થકા આંટો મારીએ ને પછી આ જમીનનો લેખ તુલસીપત્ર સહિત રઘુવીરજી મહારાજને કૃષ્ણાર્પણ કરીશુ.

શ્રીહરિ પોતે માણકીએ અસવાર થયા ને સૌ સાથે ગાજતે વાજતે ધૂન્ય કરતા એ જમીનમાં પનર વખત ફર્યા. પછે સૌ ભક્તિબાગમા કૂવો છે ત્યાં આવ્યા ને ત્યાં રઘુવિરજી મહારાજને બોલાવીને તુલસીપત્ર સાથે દાદાખાચરે એ જમીનનો લેખ અર્પણ કર્યો.

શ્રીજીમહારાજે દાદાખાચર ને કહ્યું કે તમે આ જમીનને દેવ ના થાળ સારુ અર્પણ કરી એના લીધે તમને મહામોટુ પુણ્ય થયું છે. તમે એના થી આ છતે દેહે અક્ષરરુપ થયા ને એભલખાચર નો સંકલ્પ આજે પુરો થયો એમ કહીને દાદાખાચર ને ભેટ્યા ને વાંસો ઠપકારી ને સૌને તાલી વઝાડી કરીને બોલ્યા કે….. આ દાદોખાચર એ જ મારો ખરો પુત્ર…!

  • શ્રીહરિચરિત્રચિંતામણિ…