સંવત ૧૮૭૮ ના ફાગણસુદ ત્રીજ ઇ.સ. ૨૪-૦૨-૧૮૨૨ ના રોજ શ્રીહરિએ અમદાવાદ શહેરમાં આવીને શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, શ્રીહરિ કાંકરીયા તળાવના કાંઠે ઉતર્યા હતા. આગલા દિવસ પડવાના દિવસે શ્રીહરિ આવીને મંદિરમાં બિરાજમાન થયા અને સદગુરુ આનંદાનંદ સ્વામીને કહ્યું જે, શહેરના સત્સંગીઓ ક્યાં ગયા ? તે વખતે નથુભાઇ ભટ્ટ તથા લાલદાસ ગોરા આદિ હરિભક્તો દર્શન કરવા આવ્યા. તે દંડવત્‌ પ્રણામ કરીને કહેવા લાગ્યા જે, હે મહારાજ ! જે આજ્ઞા હોય તે અમને કહો. ત્યારે મહારાજે કહ્યું જે, વરુણીમાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે ત્યાં રહો, એમને જે યજ્ઞ સારું સામાન જોઇએ તે લાવી આપો. એમ કહીને હાલ જ્યાં સભામંડપ છે ત્યાં શ્રીજીમહારાજ જમવા બિરાજ્યા, મુખવાસ લઇને સંતોની પંક્તિ કરાવીને પોતાને હાથે પીરસીને સર્વને જમાડ્યા.

શ્રીજીમહારાજને ડનલોપ સાહેબે બોલાવ્યા તેથી ત્યાં ગયા, અને ત્યાં દુલીપ સાહેબે મહારાજને ખુરશી ઉપર બિરાજમાન કરીને ચંદન-પુષ્પ આદિકે કરીને પૂજા કરી ને ટોપી ઉતારીને નમસ્કાર કર્યા અને મહારાજને બે હસ્ત જોડીને કહ્યું જે, આપ કાંકરીઆ પર ઉતરે હો લેકિન ઠંડી તો બહોત લગતી હૈ. કુછ રાવટી-તંબું ચાહીએ ? ત્યારે મહારાજે કહ્યું જે, આંબલીનાં વૃક્ષ તંબુ જેવાં છે અને વળી હિમાલયના વાસી જે નરનારાયણ ઋષિ તે પણ અત્રે હિમાલયને સાથે લઇને આવેલ છે. એમ કહીને પોતાની ભૂજાઓમાં જે છાપો હતી તે તેને બતાવી. ત્યારે દુર્લભ સાહેબ કહેવા લાગ્યા જે, ‘ઐસા ચિતારા તો હમારે વિલાયત મેં ભી નહીં હૈં.’ ત્યારે મહારાજે કહ્યું જે, કચ્છદેશના ભુજનગરમાં નારાયણજી સુતાર કરીને અમારા સેવક છે તેમણે બનાવેલ છે. ત્યારે તે બોલ્યા જે, ‘આપ ઇસ મૂર્તિઓકા સ્થાપન કરતે હો, સો હમારા શહેર કો પાવન કરતે હો’ એમ કહીને ઘણો રાજી થયો. વળી પૂછ્યું જે, તમારે કાંકરીઆ આવવા જવા માટે બે દરવાજા ખુલ્લા રાખવાની જરૂર છે ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે જરૂર તો છે. ત્યારે તેણે કહ્યું જે, ભલે, અમે બે દરવાજા રાત દિવસ ખુલ્લા રખાવીશું. શ્રીજીમહારાજ રાજી થયા. વળી ત્યારે સાહેબે પૂછ્યું જે, ‘હમારા જૈસા કુછ કામકાજ હોવે તો કહેના.’ ત્યારે મહારાજ કહે, બહુ સારું. હવે અમો જઇશું. ત્યારે સાહેબે પ્રણામ કરીને શ્રીજી મહારાજને પોતાને ઉતારે જવા સારું વિદાયમાન કર્યા.

પડઘમ, અંગ્રેજી વાજાં, ડંકા-નિશાન સહિત પલટન મહારાજને વળાવવા સારું મોકલ્યા, શ્રીજીમહારાજ ઘોડાપર બિરાજેલા હતા. શ્રીહરિ ઉપર સોનાનું છત્ર ઉપર શોભી રહ્યું હતું. બે કોરે ચામર ઉભા હતાં તથા છડીદારો છડી પોકારી રહ્યા હતા. આ પ્રમાણે ધામધૂમથી વાજતે-ગાજતે કાંકરીએ પધાર્યા અને બ્રહ્મચારીએ થાળ જમાડ્યો. જમીને મુખવાસ લઇને ઢોલિયા ઉપર બિરાજ્યા. તે સમયે શહેરના હરિભક્તો તથા બીજા કેટલાક જનો મહારાજનાં દર્શન કરવા આવ્યા તે પુષ્પોના હાર પહેરાવીને દર્શન કરીને સર્વ સન્મુખ બેઠા. શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, અત્રે એક મંચ નખાવો, કારણકે નીચા બેસીએ તો સર્વેને અમારાં દર્શન થાય નહીં. મંચ કરાવીને તે ઉપર ગાદી-તકિયા નાખીને શ્રીજી મહારાજને તેના ઉપર બિરાજમાન કર્યા. અને અનંત હરિભક્તો પુષ્પના હારો લાવીને દર્શન કરવા આવ્યા.

શ્રીજીમહારાજે કહ્યું જે, આ સંઘમાં વારાફરતી પહેરાવાળાને ઊભા રાખવા, કેમ જે હરિભક્તો દર્શન કરવા આવ્યા હોય ત્યારે ત્યાંથી કોઇક વસ્તુ લઇ જાય તો ખબર ન પડે. તે સાંભળીને આનંદ સ્વામીએ તેમજ કરાવ્યું.

બ્રહ્મચારીએ જમવા બોલાવ્યા તેથી ત્યાં પધાર્યા અને થાળ જમવા લાગ્યા. તે સમયે આનંદ સ્વામીએ કહ્યું જે, આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે તે વહેલા આવજો. ત્યારે શ્રીજીએ કહ્યું જે ‘સારું સ્વામી.’ પછી જમીને જલપાન કરી, મુખવાસ લઇને મંચ ઉપર બેઠા અને આરતી ધૂન્ય કરીને ઢોલિયા ઉપર પોઢ્યા.

સવારમાં વહેલા થાળ જમીને સંતો તથા બ્રહ્મચારીઓ, પાર્ષદો તથા હરિભક્તો સર્વેએ સહિત ગાજતે વાજતે મંદિરમાં આવ્યા. મૂર્તિઓને બાથમાં લઇને શ્રીજી મહારાજ મળ્યા. સુંદર દિવ્ય સિંહાસન ઉપર તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી. તે સમયે બ્રાહ્મણો ઊંચે સ્વરે વેદની રુચાઓની ધ્વની કરવા લાગ્યા.અને અનંત પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. આકાશમાં અનંત ધામના મુક્તો વિમાનોમાં બેસીને ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. અને ગંધર્વો નાના પ્રકારે ગાન કરવા લાગ્યા અને દેવો પણ પોતપોતાનાં વિમાનોમાં બેસીને આકાશ માર્ગે જય જય શબ્દ કરવા લાગ્યા. હરિભક્તો નાના  પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ લાવ્યા. પછી તે મૂર્તિઓને નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણથી શણગારીને તેમનું અત્તરચંદનાદિકે કરીને પૂજન કર્યું. પછી શ્રીજીમહારાજે મૂર્તિઓ ઉપર હાથ ફેરવ્યો. ત્યારે તેમાંથી તેજની કિરણો છૂટી તેણે કરીને આખા મંદિરમાં તેજ તેજ થઇ ગયું અને આખું મંદિર તેજથી ભરાઇ ગયું અને અનંત જનોના નાડી પ્રાણ ખેંચાઇને દરેકને સમાધિ થઇ ગઇ. શ્રીજીમહારાજે સર્વને છડી વડે જગાડ્યા અને હરિભક્તોએ હજારો સોનામહોરો આદિકની ઠાકોરજીને ભેટ આપી.

શ્રીજીમહારાજે કહ્યું જે, હવે કળશ કોણ ચડાવશે ? ત્યારે પીઠવડી ગામનાં પરમભકત ભગો અને મૂળો બન્ને જોડીયા ભાઇઓએ કહ્યું જે, ‘હે મહારાજ, અમે ચડાવશું. અને રૂપિયા ભેટના હજાર દેવને આપશું.’એમ કહીને તેમણે કળશ ચઢાવ્યા. અને બોટાદના દેહોખાચર કહે ‘હે મહારાજ ! હું ધજા ચડાવું છું અને ઠાકોરજીને સાતસો રૂપિયા ભેટના આપું છું.’ એમ કહીને તેણે પણ ધજા ચડાવી. એમ બહુ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા થઇ રહ્યા પછી બ્રહ્મચારીએ થાળ કરીને મહારાજને જમાડ્યા. મહારાજે સંતોને પંક્તિમાં લાડુ, જલેબી, ફૂલવડી, દૂધપાક નાના પ્રકારનાં શાક, અથાણાં, રાયતાં આદિથી સારી રીતે જમાડીને તૃપ્ત કર્યા. એમ અનંત લીલા કરીને પછી નરનારાયણદેવનાં દર્શન કરીને ગાજતે-વાજતે કાંકરીએ પધાર્યા અને ત્યાં મંચ ઉપર બિરાજમાન થયા. અને સર્વે સંત મંડળ મહારાજનાં દર્શન કરીને બેઠાં. ત્યારે મહારાજે કહ્યું જે, બાઇઓ હરિભક્તોને આજ્ઞા કરો જે, વેલું, ગાડાં, રથ વિગેરે જોડાવીને નરનારાયણ દેવનાં દર્શન કરવા જાય. અને હરિભક્તો દર્શન કરી આવ્યા પછી બાઇઓએ દર્શન કરવા જવું. પછી ગવૈયા સંતો મહારાજ પાસે ગાવણું કરવા લાગ્યા. સર્વ હરિભક્તો બાઇભાઇ સર્વે શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ દર્શન કરીને આવ્યાં અને શ્રીહરિ સન્મુખ સભામાં બેઠા.

–       શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૭૫માંથી….🙇🏻‍♂️🙏